અમદાવાદ: ભાજપના ચાર રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરતાં બેઠકો વધતાં કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો જોવા મળ્યો છે જેના પગલે અત્યારથી જ કોંગ્રેસે રાજ્યસભા માટે નવા ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને હરાવવા ભાજપે ખૂબ જ મહેનત કરી હતી જોકે કોંગ્રેસે જીત મેળવી હતી. આ વખતે વિધાનસભામાં સંખ્યાબળ વધતાં રાજ્યસભામાં કોંગ્રેસનું કદ વધશે કેમકે, ગુજરાતમાં પણ બે બેઠકો કોંગ્રેસને ફાળે જશે.
શક્તિસિંહ ગોહિલ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યાં નથી પણ રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલે સ્ટ્રેટેજી ઘડીને ધારાસભ્યોને સાથે રાખવામાં સફળ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
અહેમદ પટેલની જીતમાં શક્તિસિંહ ગોહિલનો મુખ્ય રોલ હતો. આ જોતાં કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલને શિરપાવ આપશે. આ તરફ કોંગ્રેસ રાજ્યસભામાં એક મહિલા ઉમેદવારને મોકલવા માંગે છે જેમાં સેવાના આગેવાન, પદ્મભૂષણ ઇલા ભટ્ટના નામની ચર્ચા ચાલી રહી છે.
જોકે, પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી રાજ્યસભામાં જવા ઇચ્છુક છે પણ હાઈકમાન્ડ તેમની રાજકીય ઈચ્છા પરિપૂર્ણ કરે તેમ લાગતું નથી. છઠ્ઠીવાર હાર થતાં હાઈકમાન્ડ અંદરખાને ભરત સોલંકીથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે તેમને રાજ્યસભામાં મોકલે તેવું નથી લાગી રહ્યું.
પરિણામે રાહુલ ગાંધી હવે નવા ચહેરા યુવાઓને ગુજરાતના રાજકારણમાં આગળ લઈ જવા માંગે છે. દિલ્હીમાં અત્યારથી ગુજરાતમાં રાજ્યસભાના બે ઉમેદવારોની શોધખોળનો દોર આરંભાઈ ચૂક્યો છે. હવે કોના નામની આખરી પસંદગી થશે તે આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.