
સુરતઃ મુખ્યમંત્રીના ગઢ રાજકોટમાં શક્તિ પ્રદર્શન બાદ 3 ડિસેંબરના સુરતમાં મહારેલી કરી ફરી એક વખત પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર છે હાર્દિક પટેલ. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી રવિવારે સુરતના પાટીદાર વિસ્તારોમાં ઐતિહાસિક જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે તેવું પાસ કન્વિનરોનું કહેવું છે.
આ મહા રેલી 3 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકેથી ગજેરા સર્કલથી શરૂ થશે અને અલગ અલગ વિસ્તારોમાં ફરશે. સમગ્ર દિવસ દરમિયાન મોટાભાગના પાટીદાર વિસ્તારોને કવર કરવામાં આવ્યા છે અને સાંજે સાત વાગ્યે યોગીચોકમાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે પાસના કન્વિનરએ જણાવ્યું છે કે આ રેલીમાં 1 લાખ કરતા વધારે લોકો જોડાશે અને સાંજે સાત વાગ્યે વિશાળ જાહેરસભા કરશે. આ ઉપરાંત પોલીસ પરમિશન માટે અરજી કરવામાં આવી છે.જો પોલીસ પરમિશન નહીં મળે તો પણ આ રેલીનું આયોજન કરવામાં આવશે.